સુરત આયુષ્માન કાર્ડ કૌભાંડ: સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે વરદાન સમાન આયુષ્યમાન કાર્ડમાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કાર્ડ રિન્યુ કરાવવાના હોય તેવા અરજદારો પાસેથી ચાર હજારની રકમની માંગણી કરવામાં આવે છે અને જો રકમ ન મળે તો અરજી બે માસ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે. તેવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાકીદે તપાસની માંગ કરી છે.
વિપક્ષ તરફથી હોબાળો
સુરત પાલિકાના વિપક્ષી કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સમાન હોવાનું જણાવ્યું છે. પરંતુ સુરતમાં આ યોજના હેઠળ કાર્ડ રિન્યુઅલની પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ છે.

ગરીબોના કાર્ડમાં ભ્રષ્ટાચાર
આ કાર્ડ રિન્યુઅલ માટે આવતા અરજદારોને ચાર હજાર જેટલી રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે અને અરજદારો ઝડપથી મંજૂરી માટે પૈસા ચૂકવે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં મંજૂર થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તો તેમની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.
આયુષ્માન કાર્ડ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું
અમુક સરકારી વિભાગના કર્મચારીઓ અને વચેટિયાઓની મિલીભગત વિના આ પ્રકારનું કામ શક્ય નથી. જેઓ ગરીબ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં આવો ભ્રષ્ટાચાર થતો હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. આનાથી સરકારની છબી ખરાબ થાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારથી વંચિત રહે છે. જેના કારણે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ફરજમાંથી મુક્ત કરવા પણ માંગ કરાઈ છે.
