વડોદરા કોર્પોરેશન: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે શહેરમાં રોગચાળો કે જીવલેણ રોગચાળો ફાટી નીકળે અથવા પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય ત્યારે મેયરને ખાસ જનરલ બોર્ડની બેઠક બોલાવવાની સત્તા આપવામાં આવી છે. આ સત્તાના આધારે મેયરની અધ્યક્ષતામાં તાત્કાલિક ખાસ બેઠક બોલાવવા અનુરોધ કરાયો છે.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના વરિષ્ઠ મહિલા કોર્પોરેટરે મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વડોદરા શહેરમાં 26 થી 28 ઓગસ્ટ સુધી શહેરીજનોએ ક્યારેય ન જોયું હોય તેવું ભયંકર પૂર આવ્યું હતું. જેના કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ હતી. જેના કારણે નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ પૂરમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, આ માટે વહીવટીતંત્ર અને શાસક પક્ષની ઘોર બેદરકારી જવાબદાર છે. શહેરમાં પૂર પછીની પરિસ્થિતિમાં વડોદરાના પ્રથમ નાગરિક તરીકે મેયરે રાત-દિવસ શહેરના નાગરિકો સાથે તેમનું દુ:ખ વહેંચવું જોઈએ. પૂર પછી લગભગ 3 જનરલ બોર્ડની બેઠકો યોજાઈ હતી પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ બેઠકોમાં હાજર રહી શક્યા ન હતા. હવે સ્વસ્થ થતાં મેયર કોર્પોરેશનમાં હાજર થયા છે. આથી તેમની હાજરીમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂર અંગે ચર્ચા કરવા, પૂરમાં નાગરિકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને પૂરના કારણો શોધીને વિશ્વામિત્રી નદીમાં ભવિષ્યમાં આવતા પૂરને અટકાવવા આયોજન કરવા માટે ખાસ બેઠક બોલાવવી જોઈએ.