![]()
ગોધરાના શિક્ષકના કામના ભારણના પ્રશ્નો: પંચમહાલ જિલ્લાના ગોધરામાં SIR હેઠળ સોંપાયેલા કામના બોજને લઈને એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતના શબ્દો ઉચ્ચારતા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
અધિકારીઓ પર માનસિક ત્રાસનો આરોપ
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેણે ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, તે એસઆઈઆરના કામ માટે મોડી રાત સુધી કામ કરે છે. તેમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેઓને સતત હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. કામના અસહ્ય બોજ અને દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા વિનુભાઈએ આખરે આપઘાતની બૂમો ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: SIRના કામથી કંટાળી કોડીનારના શિક્ષકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ
તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો
જવાબદાર હોદ્દા પરના શિક્ષકે જીવન ટુંકાવી દેવાની વાત વાયરલ થતાં તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો દ્વારા શિક્ષકનો સંપર્ક કરીને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય સી.કે.રાઉલજીએ ખાતરી આપી હતી
આ બાબતે શિક્ષક વિનુ બામણિયા, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. જેના પગલે ધારાસભ્યએ શિક્ષકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે BLO (બૂથ લેવલ ઓફિસર)ના કામને સરળ બનાવવા માટે તંત્રએ હવે તેમની સાથે ‘આસિસ્ટન્ટ BLO’ની નિમણૂક કરી છે.
ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં SIR અને BLO ચૂંટણીના કામમાં એકલા નહીં રહે, પરંતુ ગામના સરપંચ, નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક કાર્યકરો પણ તેમને મદદ કરવા અને કામમાં સહયોગ આપવા માટે હાજર રહેશે.
