![]()
ગાંધીનગર સમાચાર : ગુજરાત રાજ્યના પાટનગરના સેક્ટર-6 ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં 27 વર્ષીય યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. વહેલી સવારે શાળાના પ્રાંગણમાં મૃતદેહ જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
મૃતકની ઓળખ અને પૃષ્ઠભૂમિ
સેક્ટર-7 પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ જયદીપ રાજેશભાઈ સોલંકી હોવાનું અને તેની ઉંમર અંદાજે 27 વર્ષ હોવાનું બહાર આવ્યું છે. જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની છે. તે છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં તેની બહેનના ઘરે રહેતો હતો અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
પોલીસ તપાસ અને FSL ની મદદ
ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમની મદદ પણ લીધી છે. એફએસએલની ટીમે સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. જયદીપના પરિવારજનો દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે કયા સંજોગોમાં વાવલથી સેક્ટર-6માં આવેલી શાળામાં રાત્રે પહોંચ્યો અને તેણે આ ચોંકાવનારું પગલું કેમ ભર્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળના ચોક્કસ કારણો પરથી પડદો ઉંચકાશે.