ખેડૂતોના પાક વીમા વળતર અંગે મહત્વના સમાચાર, હાઈકોર્ટે સરકારનો સર્વે રિપોર્ટ ફગાવી દીધો
અપડેટ કરેલ: 8મી જુલાઈ, 2024
હાઈકોર્ટે સરકારનો સર્વે રિપોર્ટ ફગાવ્યોઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂર અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ગુજરાત હાઈકોર્ટે પાક વીમા વળતર મુદ્દે સરકારી સમિતિ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને ફગાવી દીધો છે. આ સમાચારને પગલે ખેડૂતો પણ ખુશ છે કારણ કે, આ માટે સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળી નથી.
વર્ષ 2017-2018માં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ વળતર આપવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વળતર આપવા માટે યોગ્ય સર્વે કર્યો નથી. હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે સરકારી સમિતિએ ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ અહેવાલ તૈયાર કર્યો છે.
સરકારના આ અહેવાલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો હતો. હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે સમિતિએ હાઈકોર્ટ સમક્ષ અરજી કરનારા અરજદારોના દાવા અંગે સુનાવણીની તક આપી નથી. આ ઉપરાંત બે સપ્તાહમાં કોર્ટમાં નવો રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ સંબંધમાં આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થશે.