પાવાગઢમાં જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ, મહાકાળી મંદિર ટ્રસ્ટ સામે કાર્યવાહી, જાણો સમગ્ર મામલો
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ મહાકાળી માતાના મંદિરે જવાના રસ્તે દાદરાની બંને તરફ જૈન તીર્થંકરોની મૂર્તિઓને તોડીને વિકાસના નામે કચરામાં ફેંકવામાં આવી રહી છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તોડફોડ અટકાવવા અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી.
પાવાગઢ તીર્થ વિકાસ સમિતિ કહે છે કે પાવાગઢ ટેકરી ઉપર મંદિર તરફ જવા માટે જૂના પગથિયાં છે. ગોખલાની બંને બાજુએ, 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષોથી સ્થાપિત છે. જૈનો ત્યાં દરરોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલા આ જૂના દાદર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જૈનોએ તોડફોડની કાર્યવાહીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી કલેક્ટર અને એએસઆઈને ફરિયાદ કરી હતી. આ મૂર્તિઓ સંરક્ષિત સ્મારકો હોવા છતાં, અમારી અરજીને અવગણીને આજે મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી.
જૈન આગેવાનોનો આક્ષેપ છે કે મહાકાળી માતાના મંદિરનો વિકાસ થઈ રહ્યો છે તે સારી વાત છે પરંતુ કોઈના કહેવાથી પાવાગઢમાં હજારો વર્ષ જૂની શ્વેતાંબર જૈન મૂર્તિઓને તોડી પાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવા કૃત્યો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
દરેક શહેરના જૈનાચાર્યો કલેકટરને આવેદનપત્ર પાઠવશેઃ જ્યાં સુધી મૂર્તિઓની પુન: સ્થાપના નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
પાવાગઢ ડુંગર પર આવેલ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની મૂર્તિઓની આડેધડ તોડફોડ કરવામાં આવી છે જેને પગલે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે રાવપુરા ટાવર ચાર રસ્તા ખાતે વડોદરા જૈન સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને બેઠક બાદ તમામ લોકો પાવાગઢ જવા રવાના થયા હતા.
આ બાબતે વાત કરતાં જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે આવેદનપત્ર આપ્યા બાદ પણ જે આશંકા હતી તે થયું. જૈનો જ્યાં હજારો વર્ષોથી પૂજા કરતા આવ્યા છે તે મૂર્તિઓને કોઈ કેવી રીતે તોડી શકે? વડોદરાના જૈન અગ્રણીઓ આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર આપશે, ત્યારબાદ આ મામલો હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દરેક શહેરમાં જૈનાચાર્યો કલેકટરને મળીને આ મામલે આવેદનપત્ર આપશે.
મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરોઃ પોલીસમાં ફરિયાદ
રવિવારે મોડી રાત્રે પાવાગઢ પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં જૈનો ઉમટી પડ્યા હતા અને પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે જૈન તીર્થંકરોની મૂર્તિઓ અચાનક તેમની યોગ્ય જગ્યાએથી દૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અધિનિયમ માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પણ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થાનોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે, તેથી અમે વહીવટીતંત્રને તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ. અમે માંગ કરીએ છીએ કે તીર્થંકરની મૂર્તિઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવે. આ શરમજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરો.