સામાન્ય વરસાદ બાદ સુરેન્દ્રનગરમાં પાણી ભરાયા હતા
અપડેટ કરેલ: 18મી જૂન, 2024

– રતનપર બાયપાસ પર ચારરસ્તા પાસે પાણી ભરાયા
– 400 પરિવારોનો વિનાશ, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં.9માં રતનપર બાયપાસ રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં સિઝનના પ્રથમ વરસાદ બાદ પાણી ભરાયા હતા. દોઢ ઇંચ વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોને ઠેર-ઠેર ભરાયેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે.
સુરેન્દ્રનગરમાં સિઝનના પ્રથમ વરસાદ બાદ સુરેન્દ્રનગરના વોર્ડ નં.9માં રતનપર બાયપાસ રોડ પર આવેલ માલોદ ચોકડી પાસે દેવ રેસીડેન્સી, શિવધારા રેસીડેન્સી સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 400થી વધુ પરિવારો રહે છે. સ્થાનિકો નિયમિત વેરો ભરતા હોવા છતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં પુરતી સુવિધા આપવામાં આવતી નથી. ચોમાસામાં પ્રથમ વરસાદથી જ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે શાકભાજી અથવા છૂટક વેપાર કરતા લારી ધારકો પાણી ભરાવાને કારણે વિસ્તારમાં આવી શકતા નથી. તેમજ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તેમજ ધંધાર્થીઓ, અધિકારીઓને નોકરીના સ્થળે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સ પણ આવી શકી નથી.
આ અંગે અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. જો તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે હોબાળો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
