સુરત કોર્પોરેશન: સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી માટે મ્યુનિસિપલ તંત્ર શાહમૃગની નીતિ અપનાવી રહ્યું છે જેના કારણે શહેરમાં ગેરકાયદેસર દબાણો સતત વધી રહ્યા છે. સુરત-કડોદરા રોડ પર એપીએમસી માર્કેટ પાસે લારીઓ અને ખાખીઓના દબાણનો અંત નહીં આવે તો સુરત પાલિકાના સ્થાયી સમિતિના સભ્યએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. જોકે, આ ચકચાર બાદ પણ દબાણ હટ્યું ન હતું. પરંતુ મગોબમાં કેન્દ્રીય મંત્રી-કમિશનરનો કાર્યક્રમ હતો ત્યારે દબાણ હટાવી લેવામાં આવ્યું હતું. જો કે આ બાબતની પુનઃ રજૂઆત બાદ હવે ગણેશ વિસર્જન બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણ હટાવવા માટે હૈયાધારણ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની શાહમૃગ નીતિના કારણે દબાણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી જયાં પ્રતિકાર ન હોય ત્યાં જ થાય છે, પરંતુ લુખ્ખા તત્વોનું દબાણ હોય તો તે દબાણ દૂર કરવામાં આવતું નથી. જેના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેટરો વિવિધ સ્વરૂપે જાહેર દબાણ હટાવોની ફરિયાદો કરતા હોવા છતાં દબાણ હટાવની સમસ્યા દૂર થતી નથી.
સુરત શહેરના સુરત-કડોદરા રોડ પર એપીએમસી માર્કેટ પાસે લારી-ગલ્લા અને પથરાવાળાના દબાણો દુર કરવા ફરી માંગ ઉઠી છે. જો કે, હાલ પોલીસની હાજરી નથી, તેથી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ પોલીસની હાજરી સાથે તમામ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, જ્યારે કેન્દ્રીય મંત્રી અને મ્યુ. કમિશનરનો કાર્યક્રમ હતો ત્યારે એક દિવસમાં પોલીસની મદદ લીધા વિના દબાણ કેવી રીતે દૂર કરવામાં આવ્યું તે તંત્ર સમજાવતું નથી.