![]()
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ: રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી હિસાબ આપવામાં નિષ્ફળ ગયું છે. CAGના અહેવાલો અનુસાર, આ બોર્ડે વર્ષ 2006-07 થી તેના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભામાં રજૂ કર્યા નથી.
19 વર્ષથી અંધારામાં હિસાબ
સત્તાવાર વિગતો મુજબ ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કુલ 19 વાર્ષિક અહેવાલો બાકી છે. 31 જુલાઈ 2025 સુધીમાં, આ સંસ્થાએ 2006-07 થી 2024-25 સુધીના ઓડિટ અહેવાલો સબમિટ કર્યા નથી. નિયમ મુજબ દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબો અને કામગીરીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાનો હોય છે, પરંતુ અહીં નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર-અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બન્યા, સરકારી લાભ લેવાનું કૌભાંડ ઝડપાયું
કરોડોની ગ્રાન્ટનો હિસાબ કોની પાસે છે?
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યાત્રાધામોના વિકાસ, ભક્તો માટેની સુવિધાઓ અને મોટા પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા મુખ્ય યાત્રાધામોના વિકાસ માટે જાહેર નાણા ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવ્યા તે છેલ્લા બે દાયકાથી અસ્પષ્ટ છે. ઓડિટ રિપોર્ટ સબમિટ ન થવાથી નાણાકીય ગેરરીતિ અને વહીવટી શિથિલતાની આશંકા પણ વધી છે.
અન્ય સંસ્થાઓની સરખામણીમાં સૌથી ખરાબ રેકોર્ડ
આ રિપોર્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOUADTGA) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવી સંસ્થાઓના થોડા વર્ષોના અહેવાલો પણ છે, પરંતુ 19 વર્ષ જેટલો લાંબો સમયગાળો ફક્ત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના નામે નોંધાયેલ છે. આટલી ગંભીર બેદરકારી છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ એક મોટો પ્રશ્ન છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલા ધામોના વિકાસ માટે મળેલા ભંડોળનો હિસાબ આપવામાં આટલી મોટી નિષ્ફળતા સુશાસનના દાવાઓ સામે મોટું પ્રશ્નચિન્હ ઊભું કરે છે.