![]()
|
આઇકોનિક છબી |
જામનગરમાં 10 વર્ષના બાળકના મોતના સમાચાર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે શ્રમજીવી પરિવારના દસ વર્ષના માસુમ બાળક માટે પતંગ જીવલેણ સાબિત થયો છે. ભીની જમીન પર પતંગ ઉડાવતા બાળકનો પતંગ વીજ વાયરમાં ફસાઈ જતાં તેને કરંટ લાગ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. જેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટિયા પાસે મજૂરી કામ કરતા કમજીભાઇ અદુભાઇ બારીયા નામના 40 વર્ષીય મજૂરનો 10 વર્ષીય પુત્ર રોહિત બારીયા સવારે 10.00 વાગ્યાના સુમારે પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા ખેતરમાં પતંગ ચગાવતો હતો. જ્યાં જમીન ભીની હતી અને તે તેના પર ખુલ્લા પગે પતંગ ઉડાવતો હતો.
આ દરમિયાન તેની ઉડતી પતંગ ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં ફસાઈ ગઈ હતી અને તેને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. રોહિત ઇલેક્ટ્રિક શોકને કારણે બેભાન થઈ ગયો હતો. બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પાંચમા દિવસે તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ બનાવ અંગે મૃતક બાળક રોહિતના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી અને બાળકની લાશનો કબજો લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

