![]()
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના કારણે સુરત મહાનગરપાલિકા તંત્ર વ્યસ્ત બન્યું છે જેના કારણે સુરતીઓની સામાન્ય સમસ્યાઓને બાજુએ મૂકી દેવામાં આવી છે. હવે સાહેબની મીટીંગ પુરી થઈ છે ત્યારે સુરતીઓ કહી રહ્યા છે કે સાહેબ ચાલ્યા ગયા, હવે સુરતીઓની સમસ્યાનો ઉકેલ લાવો. સુરતના ઉધના રોડ નંબર છ પર ચાર દિવસથી પાણીની લાઇન લીકેજ થઇ રહી છે, અનેક ફરિયાદો છતાં લાઇનનું સમારકામ નહીં કરવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાત હતી અને તેઓ સુરતથી આવવાના હતા જેના કારણે પાલિકા સહિત તંત્ર એલર્ટ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી મ્યુનિસિપલ તંત્ર અન્ય ફરિયાદોનો નિકાલ કરવાને બદલે માત્ર સાહેબના મૂળમાં જ કામ કરી રહ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તાજેતરમાં શહેરના રસ્તાઓનું સમારકામ કરવા તાકીદ કરી હતી, અને રસ્તાના સમારકામની કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ કામગીરીથી સુરતમાં સફાઈ અને ગટરના પાણીમાં સમસ્યા સર્જાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ઉધના રોડ નંબર 6 પર છેલ્લા ચાર દિવસથી પાણીની લાઇન લીકેજ થઇ રહી છે જેને લઇ સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાથી સ્થાનિકોની ફરિયાદનું નિરાકરણ થતું નથી. સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે આડશ મુકી દેવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તૂટેલી લાઇન રીપેરીંગની કામગીરી કરવામાં આવતી ન હોવાથી દરરોજ હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ રોડ પર થઇ રહ્યો છે. લોકો કહે છે કે, સાહેબ હવે જાવ, આ સમસ્યાનો ઉકેલ લાવો, નહીંતર હજારો લીટર પાણીનો બગાડ થશે.