![]()
ગઇકાલે શહેરમાં હનુમાનજી જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વોએ ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરતાં નવાયાર્ડ વિસ્તારમાં તંગદિલી ફેલાઇ હતી.
નવાયાર્ડ – છાણી રોડ પર આવેલી રામેશ્વરી ચાલ ખાતે વેસ્ટર્ન રેલવે જીમ્નેશિયમ સ્કૂલ (અખાડા)માં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એક અસામાજિક તત્વે એક પ્રાણીનું કપાયેલું માથું પ્રવેશદ્વાર પાસે મુકી દેતાં ભક્તો રોષે ભરાયા હતા.
સ્થાનિક લોકોએ રેલવે અને સ્થાનિક પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજે વિસ્તારના રહીશોએ એકત્ર થઈને ડીઆરએમને લેખિત રજૂઆત કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ જ સ્થળે હાડકાં ફેંકવાની અને ધજાને નુકસાન પહોંચાડવાના બનાવો બન્યા છે. જેથી આવી અસામાજિક પ્રવૃતિઓને અંકુશમાં લેવા તેઓ જીમ્નેશિયમ શાળા પરિસરને સુરક્ષિત કરવા માંગે છે.