![]()
સુરેન્દ્રનગર અકસ્માત : ગુજરાતના રાજમાર્ગો પર અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લખતરના ભાસ્કરપરા પાસે રાહદારીઓના ટોળા પર પુરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
એક જ પરિવારના 7 સભ્યોના મોતથી માતમ છવાઈ ગયો
મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલા તમામ ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. પદયાત્રીઓ સંઘને રાજકોટના ગડકા ગામે મંદિરે લઈ જઈ રહ્યા હતા ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાલામુખા ટ્રકે તેઓને અડફેટે લીધા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.
ટ્રક ચાલકની બેદરકારી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે લગભગ 10 મુસાફરોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે રાહદારીઓના મૃતદેહ રોડ પર વિખરાયેલા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં યાત્રિકો સાથે બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવેની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
