સુરત સમાચાર: સમગ્ર દેશમાં RTE (શિક્ષણનો અધિકાર) હેઠળ, દરેક બાળકને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીના 25 ટકા વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરી છે. જેમાં બાળકોની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. પરંતુ, ઘણા વાલીઓ તેમના બાળકોને પ્રવેશ મેળવવા માટે ખોટા પુરાવા રજુ કરતા હોવાના કારણે ઘણા જરૂરિયાતમંદ બાળકો તેમના અધિકારોથી વંચિત રહી જાય છે. હાલમાં સુરત એજ્યુકેશન ઓથોરિટીએ આવા વાલીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. સુરતમાં ખોટી આવકના બહાને ગેરકાયદે બાળકોને પ્રવેશ અપાવનાર 100 જેટલા વાલીઓ પકડાયા છે. જેમાંથી 68 વાલીઓ સામે ડીઇઓ દ્વારા ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ કરાયો છે.
શું છે સમગ્ર ઘટના?
સુરત શહેરમાં આવકના ખોટા પુરાવા રજૂ કરીને RTE હેઠળ પોતાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાના મુદ્દે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખોટા આવકના દાખલાના આધારે પ્રવેશ મેળવનાર 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. જેમાં 68 વાલીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ કરાયો છે અને 32 વિદ્યાર્થીઓના વાલીઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ફી મુદ્દે હેરાન કરતી શાળાઓ સામે પગલાં લેવાશે, સુરતની ઘટના બાદ અમદાવાદ શહેર ડીઇઓ પરિપત્ર
આવકના ફોર્મમાં ખોટી આવક લખેલી
નોંધનીય છે કે શિક્ષણ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે ઘણા વાલીઓ પોતે શ્રીમંત હોવા છતાં આવકના ફોર્મમાં ઓછી કિંમત લખી હતી. RTE હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના માતા-પિતા નિર્ધારિત આવક મર્યાદા કરતાં વધુ કમાણી કરતા હોય તેવા ઘણા કિસ્સાઓ તપાસમાં બહાર આવ્યા હતા. તેમાંથી કેટલાક 74 લાખની હોમ લોન ચૂકવી રહ્યા છે. ત્યારે કેટલાક વાલીઓ સાડા ચાર લાખ રૂપિયાનું રિટર્ન ભરી રહ્યા છે. પરંતુ, તેણે આવકના ફોર્મમાં પોતાની આવક ઓછી બતાવીને ગેરકાયદેસર રીતે તેના બાળકોના પ્રવેશ લીધા છે.
આ પણ વાંચોઃ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રવેશ પહેલા કોર્પોરેટરોની ચકાસણીના કારણે હોબાળોઃ વિપક્ષી કોર્પોરેટર દ્વારા બંગડી લઈ જવાનો પ્રયાસ
અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે?
આવી કોઈ ઘટના પ્રકાશમાં આવે તો તાત્કાલિક શિક્ષણ વિભાગના ધ્યાન પર લાવવા ડીઈઓ દ્વારા શાળાઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખોટા દસ્તાવેજો બનાવવાના મુદ્દે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? આ સિવાય આ ભ્રષ્ટાચારને કારણે RTE હેઠળ પ્રવેશ ન મેળવી શકનારા 100 જરૂરિયાતમંદ બાળકોના બંધારણીય અધિકારોના ભંગ બદલ વળતર કોણ ચૂકવશે? અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હવે RTEની આ 100 જગ્યાઓ ખાલી રહેશે અને જેઓ ખરેખર આ યોજના હેઠળ શિક્ષણ મેળવવા માટે હકદાર હતા તેઓ પણ વંચિત રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે જ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કેમ કરવામાં આવતી નથી? ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ બાળકો ક્યાં સુધી શિક્ષણના અધિકારથી વંચિત રહેશે?