![]()
સુરત સમાચાર: સુરતના ડભોલી વિસ્તારમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજપૂત ફળિયામાં રહેતા એક નવપરિણીત યુગલે અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. લગ્નના માત્ર એક વર્ષ પછી દંપતીએ આત્મહત્યા કરી લેતા બે પરિવારો બરબાદ થઈ ગયા છે.
બંને એક જ રૂમમાં લટકેલા મળી આવ્યા હતા
મળતી માહિતી મુજબ ડભોલી ગામના રાજપૂત ફળિયામાં 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ એક સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને રૂમમાં બંનેના મૃતદેહ લટકેલા જોવા મળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લગ્નજીવનનો પ્રારંભ જ થયો હતો ત્યાં જ બંનેના અકાળે મોતથી પાલિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: તૈયાર ખીરા ઢોસા ખાતા બે બાળકીઓના મોત, માતા-પિતાની હાલત ગંભીર
ભાવેશ અને તેજલના લગ્ન ગયા વર્ષે ખૂબ જ ધામધૂમથી થયા હતા. પડોશીઓ અનુસાર, દંપતી વચ્ચે ક્યારેય કોઈ મોટો ઝઘડો કે વિવાદ થયો ન હતો. લગ્નના આટલા ટૂંકા ગાળામાં સુખી જણાતા કપલે આટલું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન હવે સૌને મૂંઝવી રહ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ ‘સુસાઈડ નોટ’ પણ મળી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસે પંચનામા કરી પુરાવા એકત્ર કર્યા હતા
ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી, સ્થળ પર પંચનામું કર્યું અને જરૂરી પુરાવા એકત્ર કર્યા. જે બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.