સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાનના શૈક્ષણિક પ્રવાસમાં અંધેર વહીવટના કારણે વિવાદ સર્જાયો છે. ધરમપુર-બરૂમાલ-દાંડી યાત્રામાં સમિતિના 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરવહીવટનો ભોગ બન્યા છે. આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સુરતના શિક્ષક સંઘે ગંભીરતાથી પ્રવાસનું આયોજન કરવા રજૂઆત કરી છે.

સમગ્ર શિક્ષા અભિયાન અને શિક્ષા સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક પ્રવાસથી શિક્ષા સમિતિની છબી ખરડાઈ હતી. વિદ્યાર્થીઓને સાંજના ચાર વાગ્યે મધ્યાહન ભોજન આપવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓને જમવા માટે વલખા મારવા પડ્યા હતા. માત્ર સુરત જ નહીં રાજ્યભરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડતાં શિક્ષણ સમિતિએ બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી છે.
દરમિયાન સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘે સર્વ શિક્ષા અભિયાનના એડિશનલ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરને પત્ર લખ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર શિક્ષા અભિયાનના ભાગરૂપે શાળાના બાળકોને એક દિવસ ધરમપુર લઈ જવાયા હતા. આ ટ્રીપમાં શિક્ષકો દ્વારા ટ્રીપના આયોજન મુજબ બાળકોને સમયસર નાસ્તો અને જમવાનું આપવામાં આવ્યું ન હતું. તેમજ બાળકોને મુસાફરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભવિષ્યમાં જ્યારે કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવે ત્યારે ખૂબ જ ગંભીરતાથી આયોજન કરવા જણાવાયું છે અને શક્ય હોય તો આ તમામ સ્થળોએ પુરતી સુવિધાઓ સાથે ફરીથી આયોજન કરવા આ બાળકો માટે આયોજન કરવા જણાવાયું છે.



