![]()
અમદાવાદ, શનિવાર, 21 માર્ચ, 2026
અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા એલિસબ્રિજના ધારાસભ્યએ સંકલન સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામની સાઈટ પર ધૂળ ઉડતી હોય ત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવે. તેમજ ચાર રસ્તા પર ઈન્ડિકેટર રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું જેથી લોકો ક્યા વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ જોઈ શકે.
કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં કોર્પોરેશન બાંધકામની પરવાનગી આપે ત્યારે પ્રદુષણ ઘટાડવાની જોગવાઈ રાખવા સૂચન કરાયું હતું. બેઠક બાદ એલિસબ્રિજના ધારાસભ્યએ કહ્યું કે તેમણે મ્યુનિસિપલ કમિશનરને જગન્નાથ મંદિરની આસપાસ ગેરકાયદે કતલ અને માંસાહારી વસ્તુઓનું વેચાણ રોકવા માટે કહ્યું છે. બનાવ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરને આવી ઘટનાઓ અટકાવવા અને કોર્પોરેશનના કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.,
જમાલપુર બજાર અને પાલિકા બજારની મિલ્કત જર્જરિત હોવાથી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. દરિયાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે પ્રેમ દરવાજાથી શંકરભુવન સુધીનો પુલ બનાવવા માટે તેઓ બે વર્ષથી રજૂઆત કરી રહ્યા છે અને બ્રિજ બનાવવા માટે ઝડપથી ડીપીઆર બનાવવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
AMTS બસોના પાર્કિંગનો આક્ષેપ
એલિસબ્રિજના ધારાસભ્યએ કમિશનરને રજૂઆત કરી હતી કે એએમટીએસ માટે બસો આવી હોવા છતાં ઓન-રોડ રાખવામાં આવતી ન હોવાથી લોકોને બસ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એમ એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેએ જણાવ્યું હતું, 28 બસો પહેલેથી જ રોડ પર છે. જ્યારે વધુ 28 બસો હાલમાં આરટીઓ અને અન્ય ટેકનિકલ પ્રક્રિયા હેઠળ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વધુ 28 બસો ઓન-રોડ કરવામાં આવશે.
