અમદાવાદ સમાચાર: ગુજરાતમાં ‘ડબલ એન્જિન’ સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રાજકીય હલચલ મચાવી દીધી છે. જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના જ પક્ષની સરકારના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, રાયખડ વિસ્તારમાં વર્ષોથી રહેતા હિન્દુ પરિવારોને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પત્ર બાદ વિપક્ષો અને સામાન્ય જનતામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ સરકારમાં હવે હિન્દુ પરિવારોએ પણ પોતાના જ નેતાઓને ન્યાય માટે અપીલ કરવી પડશે?
ભૂષણ ભટ્ટે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે છેલ્લા 100 વર્ષથી રાયખડ વિસ્તારની પ્રસાદ મિલની ચાલીમાં રહેતા હિન્દુ પરિવારોને બહાર કાઢવા માટે કેટલાક લોકો દ્વારા પોલીસ તંત્રનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ થાય છે કે જો ભાજપ સરકારમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ હોય તો પૂર્વ ધારાસભ્યએ આટલો ગંભીર આક્ષેપ કેમ કરવો પડ્યો? શું પોલીસ કાયદાના બળે નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે?

પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રખ્યાત સુપ્રીમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને સ્થાનિક રહેવાસીઓને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભાજપ સરકાર સુશાસન અને ન્યાયના ઊંચા દાવાઓ કરે છે, ત્યારે તેના જ ભૂતપૂર્વ પ્રતિનિધિ સુરક્ષાના આવા દાવા કરે ત્યારે સરકારની છબી ખરડાય તે સ્વાભાવિક છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ACBનો પર્દાફાશ, મદદનીશ ઈજનેર 4.52 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
ભૂષણ ભટ્ટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી આ વિસ્તારમાં દબાણપૂર્વક સમાધાન ન કરવા વિનંતી કરી છે. આ સૂચવે છે કે પોલીસ દ્વારા કેટલાક મોટા પગલાની તૈયારી કરવામાં આવી રહી હતી, જેને રોકવા માટે ભૂતપૂર્વ ધારાસભ્યએ દરમિયાનગીરી કરવી પડી હતી. હિંદુ હિતોની રક્ષક હોવાનો દાવો કરતી ભાજપ સરકાર એ જ સરકારના કાર્યકાળ દરમિયાન ‘શાંતિ અને સૌહાર્દ’ જાળવવા માટે પૂર્વ ધારાસભ્યને પત્ર લખવો પડે તે શાસન પ્રણાલી પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે.
