સુરત લેક ગાર્ડન : સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલ પુણા વિસ્તારમાં આવેલ એકમાત્ર તળાવનો બગીચો મુલાકાતીઓ માટે આફતરૂપ બની રહ્યો છે. આ ગાર્ડનમાં ચાલવા માટે પણ પેરા બ્લોકમાં અનેક બ્લોક ઉંચા-નીચા, નાના બાળકો માટે રમતગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં છે અને શૌચાલયના દરવાજા તૂટેલા છે, પીવાના પાણીની પણ ગંભીર ફરિયાદો ઉઠી છે. બગીચાની આ હાલત હોવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી મુલાકાતીઓની મુશ્કેલી વધી રહી છે. જેના કારણે પુણેના બિસ્માર લેક ગાર્ડનનું એક સપ્તાહમાં સમારકામ કરવામાં નહીં આવે તો તેને તાળા મારી દેવાશે તેવી ચીમકી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આપી છે.