જામનગર અને બેટ દ્વારકામાં બુલડોઝરની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી મેગા ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 271 રહેણાંક અને 7 કોમના અને અન્ય 7 મળી કુલ 285 દબાણો મળી આવ્યા હતા અને કુલ 285 દબાણો દૂર કરાયા હતા. 47.35 કરોડની કિંમતની 86391 ચોરસ મીટર સરકારી જમીન આજે રાજકોટમાં ખુલ્લી મુકવામાં આવી હતી. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જાહેરાત કરી હતી.
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે દુશ્મન દેશ અહીથી દરિયાઈ માર્ગે નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા ખાસ ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.