![]()
છોટા ઉદેપુરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઈ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે (21મી માર્ચ) છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રો પહેરીને ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી અને દેશમાં શાંતિ અને સુલેહ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
નસવાડીમાં ભાઈચારાનો સંગમ
નસવાડીના ઈદગાહ મેદાન ખાતે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટ્યા હતા. નમાઝ બાદ તમામ ભાઈઓએ એકબીજાને ગળે લગાવીને ‘ઈદ મુબારક’ની શુભેચ્છા પાઠવી હતી. નસવાડીના હિન્દુ ભાઈઓએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને તેમના મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ભાઈચારાનાં આ દ્રશ્યોથી જિલ્લામાં કોમી એકતા અને અખંડિતતાની ઝલક જોવા મળી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો
વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ
ઈદની નમાજ બાદ કરવામાં આવેલી વિશેષ દુઆમાં દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ અલગ અલગ જગ્યાએ નમાજ અદા કરી ખુશીઓ વહેંચી હતી. નાના બાળકોમાં ઈદનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેઓ પોતાના વડીલોના આશીર્વાદ સાથે ઈદની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.