ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો 15મો પ્રારંભ

પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર આજથી શરૂ થયું છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશક નીતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

રાજ્યપાલે કહ્યું કે, મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહ્યું છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના કલ્યાણ માટે મજબૂત સંકલ્પ સાથે કામ કરી રહી છે.

રાજ્યપાલે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક એવા સોમનાથ મંદિરના આક્રમણના એક હજાર વર્ષ પૂરા થવા માટે “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “યુનિટી માર્ચ – સરદાર @150”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે ઉમેર્યું હતું કે આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની હતી. વર્ષ 2025ને આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવીને આદિવાસી સમાજના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને આદિવાસી ગૌરવ રથયાત્રા યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ફોટોગ્રાફઃ (સોશિયલ મીડિયા)

રાજ્યપાલે ઉમેર્યું હતું કે રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજી આધારિત પહેલો અમલમાં મૂકવામાં આવી છે. ડેશબોર્ડ દ્વારા સીએમ એ ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) લાગુ કરવામાં આવ્યો છે. I-ORA પોર્ટલ અને GARVI-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળી શકે.

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ

વિધાનસભાના પૂર્વ દિવંગત સભ્યો પૂર્વ મંત્રી સ્વ.મનસુખભાઈ છગનલાલ જોષી, પૂર્વ રાજ્ય મંત્રી સ્વ. મહંમદભાઈ ગુલામ મોહ્યુદ્દીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલાભાઈ રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, શ્રી વજુભાઈ પરમાભાઈ ડોડિયા અને સ્વ. બાવનજીભાઈ હંસરાજભાઈ મેતલીયાના અવસાન અંગે શોકસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની ફરજ અને જાહેર પ્રશ્નોના નિરાકરણમાં તેમની સક્રિયતાની પ્રશંસા કરી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]