![]()
અમદાવાદ સમાચાર: અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને AMCએ ટ્રાફિક પોલીસ સાથે દબાણ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત શહેરના નરોડા વિસ્તારમાં જીઇબી રોડ પર આવેલી શાકભાજી માર્કેટ પાસે દબાણ હટાવ કામગીરી દરમિયાન પોલીસ અને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શાકભાજી માર્કેટની બહાર ધંધો કરતા લારી ચાલકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાખોરોનો સામાન પોલીસે તાત્કાલિક જપ્ત કરી લીધો હતો. આ હુમલાની ઘટનામાં 1 પોલીસકર્મીને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, AMC દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે (22 ડિસેમ્બર) ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ સાથે નરોડા વિસ્તારમાં શાકમાર્કેટની બહારનું અતિક્રમણ હટાવવા માટે પહોંચી હતી.
આ પણ વાંચોઃ ઉત્તરાયણ પૂર્વે રાજ્યભરમાં પોલીસના દરોડા, 2.5 કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપાઈ
દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં લારીવાળાઓએ પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મી ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે પથ્થરમારો કરનાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.